વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદેભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેનના આગળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રધાનમંત્રીએ અમદાવાદ સુધી સવારી કરી હતી.
મળતી માહિતી મુજબ વંદે ભારત સેમિ હાઈ સ્પીડ પ્રિમિયમ ટ્રેનને આજે અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેનના એન્જિનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. એક તરફનો સમગ્ર હિસ્સો ભાગી હતો. જો કે, એન્જિનના આગળના હિસ્સાને રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરાયા હતા.
મુંબઈથી સવારે ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બે ભેંસ અથડાઈ હતી. વટવા પાસે બે ભેંસ રેલના પાટા પર આવી ગઈ હતી. ફૂલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી ગઈ હતી. જેને જોઈને ટ્રેનના ચાલકે તેને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફૂલ સ્પીડમાં જતી ટ્રેનની અડફેટે બંને ભેંસ આવી ચડી હોવાનું રેલવેના પીઆરઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવાય છે. લીલીઝંડી બતાવ્યા બાદ તેમણે ગાંધીનગરથી કાલુપુર સુધી વંદેભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.