કોરોના કાળ બાદ હવે ટ્રેનો રેગ્યુલર દોડતી થઈ ગઈ છે. તહેવારોની સિઝનમાં લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. બીજી બાજુ વધી રહેલી મોંઘવારી લોકોને દઝાડી રહી છે. ત્યારે રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સીઝન પ્રમાણે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે.વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદના રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી લોકો પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા. જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે હવેથી અમદાવાદ રેલવે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા કરી દેવાયા છે.
દિવાળીની સીઝનમાં ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100થી 150%નો વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી દીધી છે. ગુરૂવારના વધુ એક અહેવાલ અનુસાર, ભારતીય રેલવેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના AC-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં પ્રતિ મુસાફર 75 રૂપિયા, AC-2 અને 3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડું વધારી દેવાયું છે. આ પ્રકારે મુસાફરને એક પીએનઆરના બુકિંગમાં AC-1માં 450 રૂપિયા, AC-2 અને 3માં 270 અને સ્લીપરમાં 180 રૂપિયા મુસાફરે વધારાની ચૂકવણી કરવી પડશે. આ વ્યવસ્થા 1 ઓક્ટોબરથી લાગુ કરી દેવાઈ છે.
દિવાળીના 15 દિવસ બાકી રહ્યા છે પણ રેલવએ હજુ વિશેષ કે ક્લોન ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી નથી જેના કારણે દિવાળીમાં ફરવા જનાર હજારો મુસાફરોને ટ્રેનોમાં કન્ફર્મટ ટિકિટથી વંચિત રહેવું પડશે.દિવાળીમાં ફરવા જનારા ઉત્તર ભારત તરફની ટ્રેનો જેવી કે દિલ્હી,આગ્રા-ગ્વાલિયર, લખનઉ, છપૈયા, પટના, ગૌરખપુરના રૂટમાં વેઇટિંગ લિસ્ટ 280 સુધી પહોંચી ગયુ છે. જેથી રેલવેની ટિકિટોની કાળા બજારી કરતા એજન્ટોને પણ મોકળું મેદાન મળી જશે. વીઆઇપી ક્વોટોમાં ટિકિટ કન્ફર્મ કરવા માટે મજબૂરીમાં લોકોને 1000થી 1500 ચૂકવવા પડશે. આવી સ્થિતિનું નિર્માણ ન થાય માટે રેલવે તંત્ર દ્વારા પૂર્વોત્તર ભારતના વિવિધ રૂટ પર ક્લોન (ડુપ્લિકેટ) અથવા વિશેષ ટ્રેન દોડવવાની માગ કરી રહ્યા છે. હાલમાં મોટાભાગની ટ્રેનોમાં બે-ત્રણ જનરલ કોચ લગાવવામાં આવે છે પણ તહેવારોની સિઝનમાં જનરલ કોચની સંખ્યા વધારી 5થી 6 કરવી જોઇએ.