ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાને પગલે એલર્ટ બની ગઈ છે. આજે મળેલી નીતિ આયોગની બેઠક પછી ભારત સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત જેમને પણ બૂસ્ટર ડોઝ બાકી છે તે પણ વહેલીતકે લઈ લેવાની અપીલ કરી છે.
તે ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.
સરકારની અપીલ પર કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રાથી મોદી સરકાર ડરી ગઈ છે. શું PM મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ગયા હતા?
ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. મીટિંગ બાદ તેમણે કહ્યું- કોરોના હજુ ખતમ નથી થયો પરંતુ ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું છે.