અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં એક જ દિવસમાં બે મહિલાની લાશ મળી આવી છે. પહેલી લાશ ગેસ મૂકવાના કબાટમાં, એટલે કે ખાનામાં સંતાડી હતી, પરંતુ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. ત્યારે બીજી લાશ ક્લિનિકની અંદર આવેલા કન્સલ્ટિંગ બેડની નીચેથી મળી આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસને પહેલાંથી મનસુખ નામની વ્યક્તિ પર શંકા હતી, પરંતુ કેમ એકસાથે બે મહિલાની હત્યા થઈ એ પોલીસને પગેરું મળતું ન હતું. પોલીસે મનસુખ અને અનેક સોર્સ પાસેથી વિગતો મેળવવાની તપાસ શરૂઆત કરી, ત્યારે આખો મામલો મનસુખના દેવાથી શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. મનસુખ દેવાદાર હતો અને તેને રૂપિયાની જરૂર હતી. એટલા માટે તે રોજ સવારે પોતે જ ક્લિનિકમાં ડોક્ટરની જેમ પહોંચી જતો હતો અને ત્યાં આવતા દર્દીઓને ઓછા રૂપિયામાં ઓપરેશન કરી આપતો હતો, પરંતુ આ દિવસે શું થયું એનું દિવ્ય ભાસ્કર દ્વારા એક્સક્લુઝિવ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે, જેમાં હકીકતનો પર્દાફાશ થયો છે.
ઇન્વેસ્ટિગેશનમાં મળેલી માહિતી પ્રમાણે મનસુખ પોતે શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતો હતો. તેને અનૈતિક પ્રકારના વિચારો પણ આવતા હતા. પરંતુ તે શારીરિક સક્ષમ ન હોવાની વાતો વ્યક્ત થઈ હતી તેવું પોલીસ માની રહી હતી. જેની હત્યા થઈ તે ભારતી પોતાના પતિથી અલગ રહેતી હતી અને તે તેની માતા ચંપાબેન સાથે ખૂબ નજીક હતી.
પોલીસને ભારતીની લાશ મળ્યા બાદ આસપાસના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં ભારતીની સાથે તેની માતા પણ આવી હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. પરંતુ ભારતીની લાશ મળી પણ ચંપાબેન ક્યાંય દેખાય નહીં, એટલે તેમના પરિવારે તેમને શોધવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આ તપાસ દરમિયાન ચંપાબેન ક્યાંય બહાર જતાં દેખાતા ન હતા. એટલે વધુ તપાસ ક્લિનિકમાં કરતા બેડની નીચેથી ચંપાબેનની પણ લાશ મળી આવી હતી.
હોસ્પિટલમાં બબ્બે હત્યાને અંજામ આપનાર મનસુખને હાલ ઝડપી લીધો છે અને તેની પાસેથી વધુ વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ અગાઉ પણ તેણે આવી રીતે કોઈને ટ્રીટમેન્ટ કરીને નુકસાન પહોંચાડેલું છે કે કેમ તે શોધવા પ્રયાસો શરૂ કર્યા છે.