અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં 50 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા, જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી હતી. મંચ પરથી મુનિઓની પોતાની માગ રાખી હતી.ત્યારબાદ આવેદન આપ્યું હતું.
જયરત્ન સુરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગિરિરાજનો એક એક કણ અમારા માટે પથ્થર નથી ભગવાન છે. જૈન સમાજ પહેલી વાર માંગ લઈને આવ્યો છે. ન્યાય નહીં મળે તો આ રેલી નહીં આટલા લોકોનું બલિદાન હશે.
જૈન સમાજના મુનિ રત્નસુંદરએ જણાવ્યું હતું કે, અત્યારે જે માહોલ બન્યો તે જૈન સમાજનું ડિફેન્સ બજેટ છે. અમે ભાગવાના મૂડમાં નથી. કોઈમાં ઘરમાં રેડ પાડીએ તે આપણા લોહીમાં નથી, પણ કોઈ આપણાં ઘરમાં રેડ પાડી જાય તો? આ રેલી દ્વારા મેસેજ પહોંચાડી દેજો કે, આક્રોશ આક્રમણમાં બદલાશે. આક્રોશમાં 5 માણસમાં છમકલું થઈ જાય, હજારોની સંખ્યામાં આજે છો છતાં શાંતિ છે. શક્તિ વાપરવા નહીં દેખાડવા માટે હોય છે. અમારી શક્તિ વાપરવી પડે તેવા દિવસો લાવતા જ નહીં. આ જોઈને તમે ડરી જાવ નહીં તો વી આર રેડી. જ્યાં સુધી શક્તિ દેખાડતા નથી, ત્યાં સુધી સમાધાન પણ થતું નથી.

જૈન સમાજના મુનિ મહાબોધીસુરીએ મંચ પરથી નિવેદન આપ્યુ હતું કે, આ રેલી શત્રુંજય ઘેરી શકે છે. આ રેલી સરકાર વિરોધી નહીં સરકારને વિનંતી માટેની રેલી છે. ગિરિરાજ પર દાદા ચાલશે ,દાદાગીરી નહીં. આજે એક નારો યાદ રાખજો કે ગિરિ પર દાદા ચાલશે પણ દાદાગીરી નહીં ચાલે. 3 દિવસનો સમય આપવામાં આવશે. 3 દિવસમાં સરકાર આગળ આવશે અને ચોક્કસ પરિણામ આપશે. સરકાર સંસ્કૃતિ પ્રેમી છે, આપણો અવાજ શિસ્ત સાથે પહોંચાડવામાં આવશે તો તેમને સાંભળવો જ પડશે.
સવારે 9 વાગે પાલડી ખાતેથી જૈન સમાજના લોકોએ રેલી યોજી હતી. રેલીમાં જૈન સમાજના સાધુ સંતો જોડાયા હતા. સમાજના નાના બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.સમાજના લોકોએ શેત્રુંજય બચાવવા માટે રેલી યોજી હતી, જેથી પાલડી ખાતે જૈન સમાજના મુનિઓએ શ્લોકોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને પોતાનો અવાજ દેશભરમાં પહોંચાડી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું. 500થી વધુ જૈન મુનિઓ રેલી પગપાળા જોડાયા હતા.