કોંગ્રેસે આખરે વિધાનસભામાં વિપક્ષ નેતા અને ઉપનેતાની જાહેરાત કરી છે. નવી વિધાનસભા રચાઈ ગઈ પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી નેતાઓની પસંદગી કરી ન હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી થયેલી હારના કારણો શોધતાં-શોધતાં જ આખરે પોતાના વિપક્ષ નેતા અને ઉપનેતાની પસંદગી કરી દીધી છે. ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની નિમણૂક કરી છે.
સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. ત્યારે 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું. જેથી 20 જાન્યુઆરી પહેલાં જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું.
વિપક્ષ નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ દિવ્યભાસ્કર સમક્ષ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોંઘું શિક્ષણ છે, બેરોજગારી આસમાને છે, પરીક્ષામાં કૌભાંડ થતાં યુવાનો નિરાશ છે, લોકોને પારાવાર સમસ્યા છે. સરકારી તંત્ર અને સરકારી બજેટનો ઉપયોગ મુઠ્ઠીભર લોકો માટે થાય છે. એની સામે પ્રજાના જે પ્રશ્નો છે તે માટે લડીશું અને અવાજ ઉઠાવીશું. વિધાનસભા કોંગ્રેસ પક્ષ લોકોના અધિકારો માટે અવાજ જે રીતે બૂલંદ કરવાનો થશે તે લોકો વચ્ચે અને ફ્લોર પર અવાજ ઉઠાવશે. સંવૈધાનિક અધિકાર છીનવાતો હશે ત્યારે કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની કારમી હાર થઈ છે. કારમાં પરાજય બાદ કોંગ્રેસના નેતાઓમાંથી કેટલાકે ઇવીએમને જવાબદાર ગણ્યા, તો કેટલાકે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણી, તો કેટલાકે પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને પણ જવાબદાર ગણ્યા હતા. ત્યારે હવે હાર માટેના કારણ શોધવા કમિટી રચાઈ છે.