રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે સોમવારે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ભરૂચ જિલ્લાનું 64.66 ટકા રિઝલ્ટ નોંધાયું છે. બે વર્ષના કોરોના સમયગાળામાં માસ પ્રમોશન બાદ આજે ધોરણ 10નું પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ જાહેર કરી દીધું હતું. ભરૂચ જિલ્લાના 32 કેન્દ્રો ઉપરથી નોંધાયેલા 19 હજાર 515 પૈકી 19 હજાર 344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12 હજાર 508 છાત્રો પ્રમાણપત્ર મેળવવાને હકદાર થયા છે.
જિલ્લામાં 214 છાત્રોનો A-1 ગ્રેડ, 1061 વિદ્યાર્થીઓનો A-2 ગ્રેડ, 2011નો B-1, 3237નો B-2, 3639નો C-1, 2192નો C-2 અને 157 વિદ્યાર્થીઓનો D ગ્રેડ આવ્યો હતો. જિલ્લામાં બે દિવ્યાંગ બાળકો પણ કૃપા ગુણથી ઉત્તીર્ણ થયા હતા. જ્યારે એક વિષયમાં 3654 અને બે વિષયમાં 3182 છાત્રો નાપાસ થયા છે.
કેન્દ્રોવાર પરિણામ ઉપર એક નજર કરીએ તો સૌથી વધુ થવા કેન્દ્રનું 80.48 અને સૌથી ઓછું રાજપારડીનું 35.12 ટકા રિઝલ્ટ રહ્યું હતું. જ્યારે અંકલેશ્વર 72.38, જીઆઇડીસી 76.70, ભરૂચ 52.32, ઝાડેશ્વર 61.68 ટકા પરિણામ આવ્યું હતું. જિલ્લાની એકપણ શાળાનું 0 ટકા પરિણામ નોંધાયું નથી. 100 ટકા પરિણામ 12 શાળાઓએ હાંસલ કર્યું હતું. જ્યારે 26 સ્કૂલનું 30 ટકાથી ઓછું રિઝલ્ટ રહ્યું હતું.