રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી કાર્યવાહી કરી રહ્યું છે. શહેરમાં કોમર્શિયલ બિલ્ડીંગમાં કાર્યરત હોસ્પિટલો સીલ કરવામાં આવે છે, બાકીના એકમો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ફાયર NOC વિનાની તમામ બિલ્ડિંગ સામે કાર્યવાહી જરૂરી છે. મુખ્ય ખંડપીઠે ટકોર કરી કે, જે રહેણાંક એકમો ફાયર સેફ્ટીની અમલવારી ન કરતા હોય તો ‘તેમના પાણી અને વીજળીના કનેક્શન કાપી નાંખવા જોઈએ, જેથી કરીને તેઓ સજાગ બની તાત્કાલિક કાર્યવાહી કરશે.
હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીની અમલવારી મામલે હાથ ધરાયેલી સુનાવણીમાં AMC તરફથી નિવેદન કરવામાં આવ્યું હતું, કે ફાયર સેફટી એક્ટનો અમલ ન કરનાર એકમો સામે ક્રિમિનલ ફરિયાદ કરાશે. આ માટે તેમને અમદાવાદ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ ડેસિગ્નેટેડ કોર્ટ ફાળવવા માટે પણ રજૂઆત કરી છે. જેથી કેસોનો નિકાલ સરળતાથી થઈ શકે’. આ મામલે ચીફ જસ્ટિસ દ્વારા પણ ડેસિગ્નેટેડ કોર્ટ માટે હાઇકોર્ટ તરફથી વહીવટી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ અરવિંદકુમારની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની ઈમ્પેક્ટ ફી પેટે 10 ગણી પેનલ્ટી વસુલવી જોઈએ.
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે સોગંદનામુ પણ કર્યું છે. જે મુજબ અમદાવાદમાં 1128 રહેણાંક ઇમરતો પાસે ફાયર સેફ્ટી NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ ભેગા હોય તેવી 259 ઇમરતો પાસે ફાયર NOC નથી, 26 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર NOC નથી, મતલબ કે કુલ 1416 ઇમારતો પાસે ફાયર NOC નથી. શહેરમાં કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ છે. જો કોમર્શિયલ એકમમાં આગ લાગે તો, રહેણાંક મકાનો સુધી પહોંચી શકે છે. જેથી તેમની સામે કાર્યવાહી ઝડપી અને જરૂરી છે.
અરજદારે એવી રજૂઆત કરી હતી કે, ગુરુકુળ વિસ્તારમાં ફાયર એનઓસી વગરના એક બિલ્ડિંગમાં દવાખાનાઓ સીલ કર્યા છે પરતું તે જ કોમ્પ્લેક્સમાં અન્ય બિઝનેસ કરતા લોકોના શો રૂમ અને દુકાનો સામે કોઇ પગલા લીધા નથી. સરકાર ચોક્કસ વગરના લોકો સામે જ પગલાં લે છે.