સીજી રોડના બોડી લાઈન ચાર રસ્તા પરથી સોમવારે સાંજે આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂ.42 લાખ ભરેલા થેલાની લૂંટ કરી બાઈક સવાર 2 લૂંટારુ ફરાર થઇ ગયા હતા. નારણપુરાની જીવન સ્મૃતિ સોસાયટીમાં રહેતા કુમારપાળ શાહ(57) સીજી રોડ ઈસ્કોન આર્કેડમાં આવેલી ભાવેશભાઈ સંઘવીની સમકીત નિધી આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. સોમવારે સાંજે કુમારપાળભાઈ અને તેમની સાથે પેઢીમાં નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ પટેલે મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાંથી હિસાબના રૂ.42 લાખ ભરેલો થેલો સ્કૂટરમાં આગળ મૂકીને ઓફિસ પરત આવી રહ્યા હતા.
ધર્મેન્દ્રભાઈ સ્કૂટર ચલાવી રહ્યા હતા બંને બોડી લાઈન ચાર રસ્તા પહોંચ્યા ત્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી સ્કૂટર ઉભું રાખ્યુ હતુ. આ સમયે એક બાઈક પાછળ બેઠેલો લૂંટારુ બાઈક પરથી ઉતરીને સ્કૂટરમાં આગળ મુકેલો રૂ.42 લાખ ભરેલો થેલો લૂંટીને બંને બાઈક ઉપર નળ સર્કલ બાજુ ભાગી ગયા હતા. આ અંગે કુમારપાળ શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
બાજુમાં વાહન ન હોવાથી બાઈક ઊભું રાખ્યું
ધર્મેન્દ્રભાઈએ જ્યારે ટ્રાફિક સિગ્નલ પર સ્કૂટર ઊભંુ રાખ્યંુ, ત્યારે તેમની આગળ-પાછળ વાહન હતા, પરંતુ બાજુમાં કોઈ વાહન ન હતુ. જેથી લૂંટારુએ બાજુમાં થોડે આગળ બાઈક ઊભું રાખ્યું અને પાછળ બેઠેલો લૂંટારુ બાઈક પરથી ઉતરીને થેલો લૂંટીને બાઈક પાછળ બેસીને ભાગી ગયા હતા.
લૂંટારુ થેલો લઈને ભાગતા ધર્મેન્દ્રભાઈ સ્ટેન્ડ કર્યા વગર જ સ્કૂટર પરથી ઉતરી તેમની પાછળ દોડયા હતા. જેથી પાછળ બેઠેલા કુમારપાળભાઈ સ્કૂટર સાથે પડી ગયા હતા. એ પછી તેઓએ પણ સ્કૂટર પર લૂંટારુઓનો પીછો કર્યો પરંતુ બંને લૂંટારુ ધૂમ સ્ટાઈલે બાઈક પર ભાગી ગયા હતા.