ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયેનું જાહેરનામું !
ભરૂચ જીલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારોની ઉજવણી દરમ્યાન જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને આ સ્થાપના બાદ ધાર્મિક રીતી-રિવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ મુર્તિઓને ભરૂચ જીલ્લાની જુદી જુદી નદીઓ, અન્ય તળાવોનાં પાણીમાં વિર્સજન કરવામાં આવે છે. દેવી દેવતાઓની મુર્તિઓની બનાવટમાં પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી) નો ઉપયોગ કરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓની બનાવટમાં કેમિકલ યુકત રંગોનો ઉપયોગ થાય છે. આવી મુર્તિઓને નદી તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. જે (પી.ઓ.પી) મૂર્તિઓ પાણીમાં ભળવાથી પાણીમાં રહેતા પાણી જન્ય જીવો, માછલીઓ વિગેરેનું મૃત્યુ થાય છે. જેનાં કારણે પાણી તથા પર્યાવરણને નુકશાન થાય છે. જે બાબતને ધ્યાને રાખી ભરૂચ જીલ્લાનાં તમામ મહેસુલી વિસ્તારમાં આવતા નદી, તળાવોનું શુદ્ધિકરણ તથા પર્યાવરણની જાળવણીના અભિયાનને વેગ આપવા સહભાગી થવું જરૂરી જણાય છે. જે હેતુ ધ્યાને રાખી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવાનાં હેતુસર ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ધાર્મિક પ્રસંગો દરમ્યાન દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં નીચે જણાવ્યા મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
(૧) મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી) નો ઉપયોગ કરવો નહી. (૨) મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો. ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલ યુકત રંગોથી મૂર્તિને કલર કરવો નહી.(૩) મૂર્તિઓની બનાવટમાં ઘાસ, લાકડા, બાબુને બાધ આપવામાં આવે છે.(૪) મૂર્તિઓની ઊંચાઈ બેઠક સહીત ૯ ફુટ કરતાં વધારે હોવી જોઈએ નહી.(૫) મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે. તે જગ્યાએ વેચાણની જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહીં.
મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જશે નહી, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મનાં લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ રાખવી નહી. ભરૂચ બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો / વેપારીઓને પણ આ નિયમો લાગુ પડશે,મૂર્તિકારો તથા ધાર્મિક સંગઠનોએ મૂર્તિ બનાવવા તેમજ મૂર્તિની પૂજા-પાઠ માટે વાપરવામાં આવતી વસ્તુઓ બાબતે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રીવાઈઝ ગાઈડ લાઈનની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.