ચોમાસું આવે એટલે ગુજરાતમાં મોટા હાઇવેથી લઇને નગરોના આંતરિક નાના રસ્તા પર ભૂવા પડે અને તૂટે છે. ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના મતે રસ્તા તૂટવા એ માણસે કરેલી ભૂલ નહીં પણ એક્ટ ઓફ ગોડ એટલે કે કુદરતી સંજોગોને કારણે થાય છે. રસ્તા તૂટે એ માટે તે બનાવનારા કોન્ટ્રાક્ટરને બદલે કુદરતને મંત્રીએ જવાબદાર ઠેરવતા કહ્યું કે વરસાદની પેટર્ન બદલાતાં આમ થાય છે.
પૂર્ણેશ મોદીએ ગીર સોમનાથ જિલ્લામાં નિવેદન આપ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરસાદ અનિશ્ચિત થઇ ગયો છે અને આખી સિઝનમાં પડતો 50થી 60 ઇંચ વરસાદ માત્ર બે કે ત્રણ દિવસમાં પડી જાય છે તેથી રસ્તા તૂટી જાય છે અને આ સ્વાભાવિક પ્રક્રિયા છે. મોદીએ આ સાથે કહ્યું કે રસ્તાના સમારકામ માટે અમે બેઠક બોલાવી છે અને ઝડપથી તે થાય તેમ કરીશું.
આ અગાઉ પણ પૂર્ણેશ મોદીએ ગયા વર્ષે પણ ચોમાસામાં ખરાબ થયેલાં રસ્તા બાબતે કહ્યું હતું કે ચોમાસાની પેટર્ન બદલાવાથી આમ થાય છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે રાજ્યભરના તૂટેલા રોડ ઝડપથી રિપેરિંગ કરવાની કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગને આદેશ કર્યા છે.