અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસ કર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. શહેરમાં ગોતા વિસ્તારમાં દિવા હાઈટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે.
પોલીસકર્મીના આપઘાત કરવા પાછળ કયું કારણ છે તે હાલ જાણી શકાયું નથી. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધી બેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો છે. કુલદિપસિંહના બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓને ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમની પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.
પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમના પત્ની સિહોરની બાજુમાં આવેલા વડીયાના રહેવાસી હતા. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તે હજી સમજાતું નથી. કુલદીપસિંહની પડોશમાં જ તેમના બહેન રહે છે, કુલદિપસિંહના જમાઈ સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમને પણ અંદાજ ન હતો કે કુલદીપસિંહ અને તેમના પત્ની આવું પગલું ભરશે.