શહેરમાં ઠેર ઠેર તૂટેલા રોડ છે. છતાં મેયર કિરીટ પરમારે આ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે. મેયરે દાવો કર્યો હતો કે, તૂટેલા રોડ માટે કોર્પોરેશન જવાબદાર નથી. જેટલા નવા રોડ બનાવવા આવ્યા છે તેમાં રોડની એક પણ કાંકરી ખરી નથી કે એક પણ રોડ ધોવાયો નથી અને એક પણ રોડ ડેમેજ થયો નથી. પેચ વર્ક કરવામાં આવ્યું જેમાં રોલર ફર્યું ન હોય તેવી જગ્યાએ તૂટી ગયા હોઈ શકે છે.
જોકે અમારી કામગીરી સતત ચાલી રહી છે. આ સાથે મ્યુનિ. હવે ઘણી જગ્યાએ આરસીસીના રોડ બનાવી રહ્યું છે. વરસાદ ઓછો થયો છે એટલે મ્યુનિ. સતત રાત દિવસ એક કરીને રોડના કામ કરી રહી છે. કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી નથી અને અમે કોઈને છાવરતાં પણ નથી. પ્રજાની સેવાની વચ્ચે અમે કોઈની સાથે સમાધાન કરતા નથી.
શહેરના વિવિધ રોડ પર 25 હજારથી વધારે થિંગડાં મારવાની જરૂર પડી છે. શહેરમાં ભાગ્યે જ કોઇ રોડ એવો હશે જે તૂટ્યો ન હોય. મેયરે આવા બેજવાબદાર અને શેખચલ્લી જેવા પોકળ નિવેદનો આપતાં પહેલા શહેરના વિવિધ રોડની મુલાકાત લેવી જોઇએ. ખરેખર તો આવા રોડ માટે જવાબદાર હોય તેવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.