ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરની જેલમાં છે. ભારત પાકિસ્તાનની સરહદ પર ફરીને આવેલા કિરણ પટેલ સામે હવે ગુજરાતમાં પણ ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં એક ફરિયાદ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ છે અને બીજી ફરિયાદ નોંધાવાની તૈયારીમાં છે. ત્યારે હવે કિરણ પટેલને અમદાવાદ લાવવા માટેની તૈયારીઓ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ પર નોંધાયેલી ફરિયાદના આધારે હાલ ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલને અમદાવાદમાં લાવવામાં આવશે, તેવી વિગત ક્રાઈમબ્રાન્ચના ડીસીપીએ જણાવી છે.
આ અંગે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંગલિકે જણાવ્યું હતું કે, અમે કિરણ પટેલમાં એક ગુનો દાખલ કર્યો છે અને તેને અમદાવાદ લાવવા માટેની પ્રોસેસ હાથ ધરી છે. હાલ અમે તેને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવવાના છીએ, ત્યારબાદ તેની સામે જો વધુ કોઈ છેતરપિંડીના ગુનાઓ હશે તો તે સંદર્ભે પણ અમે તપાસ કરવાના છીએ.
કિરણ પટેલના ઘોડાસર નિવાસસ્થાન અંગે વાતચીત કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે 5 દિવસ પહેલા ઘોડાસર ખાતે આવેલા બંગલોનું ચેકિંગ કર્યું હતું. પરંતુ તે લોક મારીને ભાગી ગયા છે. જમ્મુ કાશ્મીર પોલીસ પણ તપાસ માટે તેના ઘરે ગઈ હતી. પરંતુ તેની તેની વાઈફ ત્યાંથી ફારાર થઈ ગઈ છે. મકાન માલિક અને કિરણ પટેલે ભાડા કરાર કર્યો નથી. 5 વર્ષથી કિરણે આ ભાડું ચૂકવ્યું નથી. અમારી પાસે ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી કરીશું.