ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે AAPએ પણ તૈયારી શરૂ કરી છે. એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સૌથી મોટો ભૂકંપ આવ્યો છે.કોંગ્રેસના સૌથી જૂના નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બંને દિગ્ગજોને કેસરીયો ખેસ પહેરાવ્યો હતો.
કોંગ્રેસ છોડવા પાછળના ઘણા બધા કારણો છે. જેની હમણાં ચર્ચા કરવા માંગતો નથી પરંતુ આગળ સમય આવ્યે એની પણ ચર્ચા કરીશું. હાલ પૂરતું તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાઈશું. જેમાં હું અને મારા સાથી રાજુભાઈ પરમાર તથા બીજા પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓ રહેલાં છે તેમની સાથે મોટી સંખ્યામાં અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે. અમને ભાજપનું નેતૃત્વ જે પણ કોઈ કામગીરી સોંપશે તે કામગીરી કરીશું.કોંગ્રેસ છોડવાનો વિચાર ઘણા સમયથી મારા મનમાં ચાલતો હતો. પક્ષની કામગીરી નબળી પડતી જતી હતી. પક્ષ અને સંગઠનમાં સુધારો વધારો કરવા માટે નેતૃત્વ દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નહોતો. એટલે મનમાં એવું થયું કે આટલા વર્ષો સુધી કોંગ્રેસ સાથે આપણી લેણદેણ હતી પણ હવે નથી રહી એટલે થયું કે હવે અહીંથી નિકળી જઈએ અને ભાજપના નેતૃત્વ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો.
અત્યારસુધી ગુજરાતમાં 2012થી અત્યારસુધીમાં 60 જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે.રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં. જ્યારે બ્રિજેશ મેરજા, જિતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડળમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા દિલ્હી ભાજપમાં જોડાયા. એ ઉપરાંત જયરાજસિંહ પરમાર, કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પણ કેસરિયો કરી લીધો છે.